તપાસ દરમિયાન તેની વિરુદ્ધ પુરાવા
મળે તો આવી વ્યક્તિએ ટ્રાયલનો સામનો કરવો પડે : સુપ્રીમ
નવી દિલ્હી, તા.8 : સુપ્રીમ કોર્ટે
ગુરુવારે એક મહત્ત્વપૂર્ણ આદેશમાં જણાવ્યું હતું કે આરોપી તરીકે આરોપનામામાં નામ ન
હોય તેવી કોઇ વ્યક્તિ સમન્સ પહેલા ટ્રાયલ કોર્ટમાં સુનાવણી માટે હકદાર નથી. આવી વ્યક્તિને
ક્રિમિનલ ટ્રાયલનો સામનો કરવા સમન્સની બજવણી કરવી જરૂરી છે. જોકે ન્યાયાધીશ જે.બી.
પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે જો કોઈ કારણોસર ટ્રાયલ
કોર્ટે આવી અરજી ફગાવી દીધા પછી હાઇકોર્ટ ફોજદારી કેસમાં આરોપી તરીકે વ્યક્તિને સમન્સ
મોકલવાના મુદ્દા પર વિચાર કરે છે, તો આરોપીને સુનાવણીનો અધિકાર મળે છે. ખંડપીઠ ક્રિમિનલ
પ્રોસિજર કોડની કલમ 319 પરના કાનૂની સવાલ પર સુનાવણી કરી રહી હતી. આ કલમ મુજબ જો તપાસ
અથવા ટ્રાયલ દરમિયાન એવું બહાર આવે કે જે વ્યક્તિનું નામ આરોપી તરીકે નથી પરંતુ તેણે
ગુનો કર્યે છે, તો કોર્ટ ગુના માટે દોષિત જણાતી અન્ય વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી શકે
છે. આ મામલો 2009ના એક હત્યા કેસ સંબંધિત છે, જેમાં ચાર્જશીટમાં આરોપી ન હતા તેવા બે
વ્યક્તિને ટ્રાયલ કોર્ટ અને અલ્હાબાદ હાઇકોર્ટમાં સંખ્યાબંધ લિટિગેશન પછી ટ્રાયલનો
સામનો કરવા માટે સમન્સ કરાયા હતાં.