આનંદ કે. વ્યાસ
નવી
દિલ્હી, તા. 27 : વિદેશ ગયેલા સાંસદોના પ્રતિનિધિમંડળ સરકારી પ્રતિનિધિમંડળ કરતા વધુ
અસરકારક રીતે દેશનું વલણ દુનિયા સમક્ષ પ્રગટ કરી રહ્યા છે, એમ કૉંગ્રેસ તરફથી આજે જણાવાયું
હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક ટ્રોલની જેમ વર્તન કરી રહ્યા છે અને પ્રેમ ચોપડા
અને પરેશ રાવલની જેમ જાહેરસભાઓમાં ડાયલોગબાજી કરે છે એ વડા પ્રધાન પદની ગરિમાને અનુરૂપ
નથી, એવો આક્ષેપ વિપક્ષ કૉંગ્રેસે કર્યો હતો.
દિલ્હીમાં
પત્રકાર પરિષદમાં કૉંગ્રેસના મીડિયા પ્રભારી પવન ખેરાએ કહ્યું હતું કે અૉપરેશન સિંદૂર
આતંકવાદ વિરૂદ્ધ એક ગંભીર મિશન છે, પરંતુ વડા પ્રધાન એની મજાક બનાવી રહ્યા છે. વડા
પ્રધાન દેશના વિવિધ પ્રદેશોમાં જઇને જાહેરસભાઓમાં પ્રેમ ચોપડા અને પરેશ રાવલ જેવા અભિનેતાઓની
જેમ અૉપરેશન સિંદૂર બાબતે ડાયલોગબાજી કરી રહ્યા છે. મારી રગોમાં રક્ત નહીં, ગરમ સિંદૂર
વહી રહ્યું છે.. શાંતિથી રોટી ખાઓ, નહીં તો મોદીની ગોળી તો છે જ.. આવા ડાયલોગ ભારતના
વડા પ્રધાનના મોઢે શોભે ખરાં? મોદીની આવી ડાયલોગબાજી વડા પ્રધાન પદની ગરિમાને અનુરૂપ
નથી, એમ ખેરાએ કહ્યું હતું.