ખોટી
રીતે લોકોને લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઈને આજીવન યાદ રહેવું જોઈએ : કોર્ટની ટકોર
અમદાવાદ,
તા.18: સુરત ડીંડોલીમાં એક નિર્દોષ વકીલને પોલીસ ઈન્સ્પેક્ટરે મારેલી લાત અંગે પોલીસે
અરજી લેવાનો ઈનકાર કરતા હાઈકોર્ટે પીઆઈને નિર્દોષ વ્યક્તિને ગુના વિના લાત મારવા સામે
રૂ.3 લાખનો દંડ કર્યો છે. આમ પીઆઈએ મારેલી એક લાત તેને રૂ. 3 લાખમાં પડી છે. સાથે કોર્ટે
એવી પણ ટકોર કરી હતી કે, ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઈને આજીવન
યાદ રહેવું જોઈએ. ભવિષ્યમાં પણ તેને કોઈ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાતનો દંડ યાદ આવશે.
પોલીસ ભલે દબાણમાં કાર કરે છે પરંતુ તેનો મતબલ સત્તાનો દુરુપયોગ કરવાની છૂટ નથી.
આ કેસની
વિગત એવી છે કે, સુરતના ડીંડોલીમાં એડવોકેટ હિરેન ન્યાય કારમાં મિત્રો સાથે બેઠા હતા
ત્યારે ડીંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.જે.સોલંકી ત્યાં આવીને કંઈક પણ પૂછયા વગર સીધા
લાત મારવા લાગ્યા હતા અને એટ્રોસિટી થાય તેવા શબ્દો બોલ્યા હતા. આ ઘટના અંગે પોલીસે
પીઆઈ સામે ફરિયાદ નોંધવા ઈન્કાર કર્યો હતો. જેથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
આ કેસમાં હાઈકોર્ટે પણ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાત મારનાર પીઆઈને ત્રણ લાખનો દંડ
ફટકાર્યો હતો.
પીઆઈને
ન્યાયતંત્ર વિશે જાહેરમાં અમુક શબ્દો કહ્યા હોવાની રજૂઆત સામે કોર્ટે ટકોર કરી હતી
કે, આવા પીઆઈ સામે સરકાર પગલા કેમ લેતી નથી.
જસ્ટિસ નિર્ઝર દેસાઈ ચાલુ સુનાવણી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી પાસે પીઆઈ સામે શું પગલા
લેશો ? તે અંગે સૂચના મગાવી હતી.
ફરિયાદી
એડવોકેટ હાઈકોર્ટમાં બનાવની રાત્રિના ઘટના સ્થળના ફૂટેજ બતાવ્યા હતા. જે જોઈને હાઈકોર્ટે
પીઆઈનો ઉઘડો લેતા એવી ટકોર કરી હતી કે, તમે હીરો બનીને ફરો છો એટલે શું ગમે તે વ્યક્તિને
કોઈ ગુના વગર મારવાના ? કંઈ પણ પૂછયા વગર કોઈને લાત કેવી રીતે મારી શકાય ? જો પોલીસના
આવા દમનને અત્યારે રોકવામાં નહીં આવે તો કાલે પોલીસ મને પણ કારણ વગર લાત મારી શકે છે.
કોઈ સાચો આરોપી હોય તો પણ તેને પૂછયા વગર લાત મારી શકાય નહીં.
હાઈકોર્ટ
એવી પણ ટકોર કરી હતી કે, પીઆઈ પોતાને ફિલ્મના હીરોની જેમ જીપમાંથી કૂદીને સીધા નિર્દોષ
વ્યક્તિને લાત મારે છે. તે સીસીટીવી ફૂટેજમાં દેખાતો પુરાવો છે. પોતાને હીરો સમજતા
પીઆઈને કોઈ સંજોગોમાં માફ કરી શકાય નહીં. પીઆઈએ સત્તાનો દુરુપયોગ કર્યો છે.